Please enable javascript.જિયો, એરટેલ સહિતની કંપનીઓએ પ્લાનના ભાવ કેમ વધાર્યા? સરકારે સ્પષ્ટતા કરવી પડી - reliance jio airtel tariff hike government clarification - Iam Gujarat

જિયો, એરટેલ સહિતની કંપનીઓએ પ્લાનના ભાવ કેમ વધાર્યા? સરકારે સ્પષ્ટતા કરવી પડી

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 7 Jul 2024, 5:01 pm
Subscribe

તાજેતરમાં લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા કે તરત જ ટેલિકોમ કંપનીઓએ ભાડા વધારી દીધા હતા. આ વધારો 20 ટકાથી લઈને 25 ટકાની રેન્જમાં હતો. સરકારની પણ ઘણી ટીકા કરવામાં આવી છે અને કંપનીઓ પર કાર્ટેલ બનાવવાનો આરોપ મૂકાય છે. સરકારે સ્પષ્ટતા કરીને જણાવ્યું કે બજારના પરિબળો પ્રમાણે જ ટેલિકોમના દર નક્કી થાય છે.

હાઈલાઈટ્સ:

  • ટેલિકોમ કંપનીઓએ પોતાના ટેરિફ પ્લાનમાં 20થી 25 ટકાનો જંગી વધારો ઝીંકી દીધો
  • મોબાઈલ ધારકો પરેશાન છે. આટલા ઊંચા ભાડા માટે નારાજગી વ્યક્ત કરે છે
  • સરકારે કહ્યું કે ટ્રાઈની મંજૂરી લીધા પછી જ ભાડામાં વધારો કરવામાં આવે છે
mobile tariff hike
ટેલિકોમ કંપનીઓએ 5Gમાં થયેલા રોકાણને લક્ષ્યમાં રાખીને ટેરિફ વધાર્યા છે
તાજેતરમાં રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડા આઈડિયા સહિતની ટેલિકોમ કંપનીઓએ પોતાના ટેરિફ પ્લાનમાં 20થી 25 ટકાનો જંગી વધારો ઝીંકી દીધો છે જેના કારણે મોબાઈલ ધારકો પરેશાન છે. ટેલિકોમ કંપનીઓ જાણે ચૂંટણીના પરિણામ આવે તેની રાહ જ જોઈ રહી હતી તેવું લાગે છે. ઘણા લોકોએ સરકારની ટીકા શરૂ કરી છે અને ટેલિકોમ કંપનીઓને આટલા ઊંચા ભાવ વધારવાનની છૂટ કેમ આપી તેવો સવાલ કરે છે.
આવી સ્થિતિમાં સરકારે એક મોટી સ્પષ્ટતા કરવી પડી છે. સરકારનું કહેવું છે કે રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાએ નિયંત્રણ વગર પ્લાનના ટેરિફ વધારી દીધા છે એવું નથી. ટ્રાઈ (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા ટેરિફને રેગ્યુલેટ કરવામાં આવે છે અને તેમાં માર્કેટના પરિબળો કામ કરે છે. ભારતમાં સરકારી માલિકીની કંપની પણ ટેલિકોમ સેક્ટરમાં છે. દેશમાં હવે 5G ટેલિકોમ સર્વિસ શરૂ થઈ છે જેમાં મોટું રોકાણ કરવું પડ્યું છે.

સરકારે સ્પષ્ટતા કરી કે ઈન્ટરનેટની સ્પીડની બાબતમાં ઓક્ટોબર 2022માં ભારત દુનિયામાં 111મા ક્રમે હતું પરંતુ ફાઈવજી સર્વિસ શરૂ થવાથી દેશમાં 100 એમબીપીએસની સ્પીડ સરેરાશ બની ગઈ છે અને હવે ભારતનું રેન્કિંગ આગળ આવીને 15મા ક્રમે પહોંચી ગયું છે. હજુ પણ ટેલિકોમ સેક્ટરમાં જંગી રોકાણ કરવામાં આવશે.

રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાએ સરકારની મંજૂરી વગર પોતાની જાતે ભાડા વધારી દીધા છે તેવી વાતોને સરકારે નકારી કાઢી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલમાં બજારની માંગ અને પૂરવઠાના આધારે ટેલિકોમ માર્કેટ ચાલે છે. તેથી ટેલિકોમ સેવાના દર પણ બજારના પરિબળો નક્કી કરે છે જેના માટે ટ્રાઈની મંજૂરી લેવી પડે છે. સરકાર આ ફ્રી માર્કેટના નિર્ણયોમાં કોઈ દખલ કરતી નથી. તેથી ટેરિફમાં જે કોઈ ફેરફાર થાય છે તે નિશ્ચિત રેગ્યુલેટરી માળખામાં જ થાય છે.

સરકારે પોતાની રિલિઝમાં એવું પણ જણાવ્યું છે કે બે વર્ષ કરતા વધુ સમય સુધી ટેલિકોમના ટેરિફમાં વધારો નહોતો થયો અને હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરોએ ફાઈવજી સર્વિસ માટે જંગી રોકાણ કર્યું છે જેનાથી દેશમાં હવે ટેલિકોમની સ્પીડમાં પણ વધારોથયો છે. તેથી સબસ્ક્રાઈબર્સના હિત જાળવી રાખીને ટેલિકોમ સેક્ટરનો ગ્રોથ કરવો જરૂરી છે. હવે 6G, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, વગેરે તરફ ઈન્ડસ્ટ્રી આગળ વધી રહી છે.

બીજી તરફ કેટલાક લોકો આ વાત સહમત નથી. તેમનું કહેવું છે કે ટેલિકોમ ટેરિફ વધ્યા તેના માટે ફ્રી માર્કેટ જવાબદાર નથી, પરંતુ કંપનીઓએ કાર્ટેલ બનાવીને ભાવ વધાર્યા છે.
અજિત ગઢવી
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો