Please enable javascript.વડોદરામાં મુસ્લિમ મહિલાને CM આવાસ યોજનામાં ઘર ફાળવાયું, લોકોનો વિરોધ - vadodara muslim woman allotted house in cm awas yojana residents protest - Iam Gujarat

વડોદરામાં મુસ્લિમ મહિલાને CM આવાસ યોજનામાં ઘર ફાળવાયું, લોકોનો વિરોધ

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 14 Jun 2024, 4:04 pm
Subscribe

મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવાયા પછી વડોદરામાં એક મુસ્લિમ મહિલાની મુસીબતો વધી ગઈ છે. છેલ્લા ચાર વર્ષથી લોકો વિરોધ કરી રહ્યા છે અને તેને બીજે ક્યાંક મકાન ફાળવવા ઓથોરિટીમાં માગણી કરી છે. તેમનું કહેવું છે કે તેઓ પોતાના પડોશમાં બીજા ધર્મની વ્યક્તિ ઈચ્છતા નથી. મહિલાનું કહેવું છે કે તે આ મકાનમાં જ રહેવા માગે છે.

હાઈલાઈટ્સ:

  • 44 વર્ષની મહિલા એક દીકરાની માતા છે. તેનું કહેવું છે કે 2020માં જ વિરોધ શરૂ થઈ ગયો હતો
  • હાઉસિંગ કોમ્પ્લેક્સના 33 રહેવાસીઓએ જિલ્લા કલેક્ટર અને બીજી ઓથોરિટીને ફરિયાદ કરી
  • વસાહતીઓની ફરિયાદ છે કે તેમની પડોશમાં મુસ્લિમ રહેવા આવે તે તેમને પસંદ નથી
vadodara muslim woman
હિંદુઓના વિસ્તારમાં મુસ્લિમ મહિલાને મકાન ફાળવવામાં આવતા લોકોએ વિરોધ કર્યો
ગુજરાતમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નીચી આવક ધરાવતા લોકોને મકાન ફાળવવામાં આવે છે, પરંતુ તેમાં પણ લોકો ધાર્મિક રીતે વહેંચાઈ જાય છે. મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગમે તે જગ્યાએ મકાન મળી શકે છે. વડોદરામાં એક મુસ્લિમ મહિલાને હિંદુ બહુમતીના એરિયામાં મકાન ફાળવવામાં આવતા બીજા લોકોએ તેનો વિરોધ કર્યો છે અને મુખ્યમંત્રીની ઓફિસને પત્ર લખ્યો છે.
44 વર્ષની મહિલા એક દીકરાની માતા પણ છે. તેનું કહેવું છે કે તેની સામે 2020માં જ વિરોધ શરૂ થઈ ગયો હતો જ્યારે તેને મકાન ફાળવવામાં આવ્યું હતું અને લોકોએ સીએમઓને પત્ર લખીને આ મકાનની ફાળવણી રદ કરવા માગણી કરી હતી. હાલમાં પણ વિરોધ ચાલે છે.

આ મુસ્લિમ મહિલા સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલયની એક શાખામાં કામ કરે છે. તેને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 2017માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના લો ઈન્કમ ગ્રૂપના હાઉસિંગ કોમ્પ્લેક્સમાં મકાન ફાળવાયું હતું. તે સમયે મુસ્લિમ મહિલાને બહુ આનંદ થયો હતો, કારણ કે તેને લાગ્યું કે તે પોતાના પુત્ર સાથે સારા પડોશમાં રહી શકશે. જોકે, તે સરકારે ફાળવેલા મકાનમાં રહેવા ગઈ પછી તરત હાઉસિંગ કોમ્પ્લેક્સના 33 રહેવાસીઓએ જિલ્લા કલેક્ટર અને બીજી ઓથોરિટીને લેખિતમાં ફરિયાદ કરી હતી અને આ મકાનની ફાળવણી રદ કરવા માગણી કરી હતી. આ કોમ્પ્લેક્સમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 462 મકાનો બન્યા છે.

આ મકાનોના વસાહતીઓની ફરિયાદ હતી કે તેમની પડોશમાં મુસ્લિમ રહેવા આવે તે તેમના માટે જોખમી બની શકે અને ન્યૂસન્સ પેદા કરી શકે છે. આ આખા કોમ્પ્લેક્સમાં તે એકમાત્ર મુસ્લિમ વ્યક્તિ છે.

આ વિશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ અધિકારીઓ મીડિયા સમક્ષ કોઈ ટિપ્પણી કરવા તૈયાર નથી. મુસ્લિમ મહિલાએ કહ્યું કે તેને મકાન મળ્યું પછી 2020માં જ કેટલાક લોકોએ સીએમઓને પત્ર લખીને આ ફાળવણી કેન્સલ કરવાની માગણી કરી હતી. જોકે, તે સમયે હરણી પોલીસ સ્ટેશને બંને પાર્ટીના સ્ટેટમેન્ટ નોંધીને ફરિયાદ ક્લોઝ કરી દીધી હતી. હવે આ જ મુદ્દા પર ફરીથી 10 જૂનથી વિરોધ શરૂ થયો છે.

આ મહિલાએ કહ્યું કે વડોદરામાં હું મિક્સ્ડ વસાહતમાં મોટી થઈ છું અને મારો પરિવાર ક્યારેય માત્ર પોતાના કોમની વસતીમાં રહેવું એવું નથી માનતો. હું મારા બાળકને એવા વિસ્તારમાં ઉછેરવા માગતી હતી જ્યાં બધા લોકો રહેતા હોય પરંતુ છેલ્લા છ વર્ષથી મારે વિરોધનો સામનો કરવો પડે છે જેનો કોઈ ઉકેલ નથી આવ્યો તેથી મારા સપના તૂટી ગયા છે. મારો દીકરો 12મા ધોરણમાં આવી ગયો છે અને તે આ બધું શું ચાલી રહ્યું છે તે સમજતો થયો છે. આ ભેદભાવથી તેને માનસિક અસર થશે.

આ મહિલાને બીજે ક્યાંક મકાન ફાળવવું જોઈએ એવી માગણી કરતી ફરિયાદ પર 33 લોકોએ સહી કરી છે અને આ ફરિયાદ જિલ્લા કલેક્ટર, મેયર અને વીએમસીના કમિશ્નરને સોંપવામાં આવી છે. આ ઉપરાંત વડોદરાના પોલીસ કમિશ્નરને પણ ફરિયાદ કરાઈ છે.

મોટનાથ રેસિડન્સી કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસિસ સોસાયટીની રજુઆતમાં જણાવાયું છે કે વીએમસીએ માર્ચ 2019માં એક લઘુમતી લાભાર્થીને મકાનન સોંપ્યું છે. હરણી એરિયા હિંદુ બહુમતી ધરાવે છે અને લગભગ ચાર કિમીની ત્રિજયામાં કોઈ મુસ્લિમ વસતી નથી. આ 461 પરિવારોના શાંત જીવનમાં આગ ચાંપવા સમાન છે.

આ કોલોનીના લોકોનું કહેવું છે કે મુસ્લિમ પરિવારોને અહીં રહેવા દેવામાં આવશે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પેદા થઈ શકે છે. સહી કરનાર એક વ્યક્તિએ કહ્યું કે, "આ વીએમસીનો વાંક કહેવાય કારણ કે તેણે કોને મકાન ફાળવાય છે તે ચેક નથી કર્યું. અમે બધાએ આ કોલોનીમાં એટલા માટે મકાન બૂક કરાવ્યું હતું કારણ કે આ હિંદુ એરિયા છે. અમે નથી ઈચ્છતા કે બીજા ધર્મ કે કલ્ચરલ બેકગ્રાઉન્ડના લોકો અમારી કોલોનીમાં રહેવા આવે. બંને પક્ષ માટે આ લાગુ પડે છે."

આ મહિલાની એકદમ પડોશમાં રહેનાર એક વ્યક્તિએ કહ્યું કે, "આ હાઉસિંગ કોલોનીમાં બીજા પણ કેટલાક નોન વેજિટિરિયન લોકો છે, પરંતુ અન્ય ધર્મના લોકો સાવ નજીક રહેવા આવે તેની સામે લોકોને વાંધો છે. અમારી પડોશમાં કોઈ માઈનોરિટી હોય તે અમને પસંદ નથી. આખું સામાજિક વર્તન અલગ હોય છે."

આવાસ મેળવનાર મુસ્લિમ મહિલાનું કહેવું છે કે, "ખાલી આ વિરોધના કારણે મારે આ મકાન નથી વેચવું કારણ કે મેં મહેનત કરીને રૂપિયા ભેગા કર્યા હતા. મેં મેનેજિંગ કમિટી પાસે ઘણી વખત સમય માગ્યો છે પરંતુ તેમણે જવાબ નથી આપ્યો. તેઓ મારી પાસે મેન્ટેનન્સ પણ માગે છે. પરંતુ મને શેર સર્ટિફિકેટ આપવા તૈયાર નથી. વીએમસીએ પણ 50 હજાર રૂપિયા વન ટાઈમ મેન્ટેનન્સ ચાર્જ તરીકે લઈ લીધા છે."

હાલમાં આ મહિલા વડોદરામાં જ પોતાના પુત્ર સાથે પોતાના માતાપિતાની સાથે રહે છે. સોસાયટીના બધા લોકો મહિલાનો વિરોધ કરે છે એવું નથી. એક રહેવાસીએ કહ્યું કે "આ મહિલાને કાયદેસર રીતે મકાન અપાયું છે અને તે સરકારી સ્કીમની લાભાર્થી છે. લોકોની ફરિયાદ વાજબી છે, પરંતુ આપણે કોઈની સાથે વાતચીત કર્યા વગર તેમના વિશે કોઈ અભિપ્રાય બાંધી લેવો ન જોઈએ."
અજિત ગઢવી
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો