Please enable javascript.જમીન મામલે યુસુફ પઠાણ હાઈકોર્ટમાં, 'બીજી પાર્ટીમાંથી ચૂંટાયો એટલે હેરાન કરાય છે' - yusuf pathan in high court over vadodara plot issue - Iam Gujarat

જમીન મામલે યુસુફ પઠાણ હાઈકોર્ટમાં, 'બીજી પાર્ટીમાંથી ચૂંટાયો એટલે હેરાન કરાય છે'

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 20 Jun 2024, 5:27 pm
Subscribe

યુસુફ પઠાણ પર વડોદરામાં જમીન પચાવી પાડવાનો આરોપ મૂકાયો અને કોર્પોરેશને નોટિસ આપી ત્યાર પછી પઠાણે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. પઠાણના વકીલની દલીલ છે કે તેઓ તાજેતરમાં બીજી પાર્ટીમાંથી ચૂંટાયા તેના કારણે તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન કંઇ જ કરવામાં આવ્યું નથી. હવે ચૂંટણીના રિઝલ્ટ પછી જ મુદ્દો જાગ્યો છે.

હાઈલાઈટ્સ:

  • યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની બેઠક પરથી ચૂંટાઈને સાંસદ બન્યા છે.
  • પરંતુ વડોદરામાં સરકારી જમીન પર તેમણે જે દબાણ કર્યું હતું તે મામલો પરેશાન કરી રહ્યો છે.
  • આ પ્લોટ ખાલી કરવા માટે પાલિકા દ્વારા ખાલી કરવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે
yusuf pathan (3)
યુસુફ પઠાણે જમીનના મામલે હવે કાનૂની લડાઈ લડવી પડશે
ભૂતપૂર્વ ક્રિકેટર અને હવે મમતા બેનરજીની પાર્ટીના સાંસદ બનેલા યુસુફ પઠાણે જમીન પચાવી પાડવાના મામલે ગુજરાત હાઈકોર્ટમાં જવું પડ્યું છે. યુસુફ પઠાણે વડોદરામાં જમીન પર દબાણ કર્યું હોવાનો આરોપ છે અને હવે તેમને નોટિસ આપવામાં આવી છે. પઠાણે વડોદરામાં મ્યુનિસિપાલિટીના પ્લોટ પર તબેલો ઊભો કર્યો છે. પઠાણનું કહેવું છે કે અત્યાર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ વાંધો ન હતો. પરંતુ હવે તે બીજી પાર્ટીમાંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યો તેથી તેને નોટિસ આપવામાં આવી છે.
તાજેતરની લોકસભાની ચૂંટણીમાં યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની બેઠક પરથી ચૂંટાઈને સાંસદ બન્યા છે. પરંતુ વડોદરામાં સરકારી જમીન પર તેમણે જે દબાણ કર્યું હતું તે મામલો પરેશાન કરી રહ્યો છે. આ પ્લોટ ખાલી કરવા માટે પાલિકા દ્વારા ખાલી કરવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે

યુસુફ પઠાણના વકીલે હાઈકોર્ટમાં કહ્યું કે, VMCની જનરલ બોડીએ આ જમીન આપી છે તો પછી રાજ્ય ખાલી કરાવવા કેવી રીતે કહી શકે. વર્ષોથી આ જમીન યુસુફ પાસે છે, હવે તેઓ અન્ય પક્ષમાંથી સાંસદ બનતા આ જમીન ખાલી કરાવાઈ રહી છે. જોકે, હાઈકોર્ટે રાજકારણ વચ્ચે ન લાવીને મેરિટ ઉપર દલીલો કરવા કહ્યું છે. આવતીકાલે VMCના વકીલ યુસુફના કેસમાં ઉપસ્થિત થશે અને આગળ દલીલો કરવામાં આવશે.

યુસુફ પઠાણના તાંદલજા વિસ્તારમાં આવેલા પ્લોટનો મુદ્દો હાલ ચર્ચામાં છે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું યુસુફ પઠાણ દ્વારા તેમના ઘરની બાજુમાં આવેલા પ્લોટની માંગણી કરવામાં આવી હતી. સ્થાયી સમિતિ અને સભા દ્વારા તેને જે તે કિંમતના આધારે મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર પછી સરકારમાં આ પ્લોટને નામંજૂર કરાયો હતો. છતાં પઠાણે પ્લોટ પર કબજો યથાવત રખાયો હતો. તેના કારણે વડોદારા મ્યુનિસપિલ કોર્પોરેશને નોટિસ આપી હતી.

જમીન વિવાદ મુદ્દે યુસુફ પઠાણે આક્ષેપ કર્યો કે હું અલગ પાર્ટીમાંથી ચૂંટાયો હોવાથી મને હેરાન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન કંઇ જ કરવામાં આવ્યું નથી અને ચૂંટણીના પરિણામો બાદ અચાનક જ 6 જૂન 2024 ના રોજ નોટિસ પાઠવામાં આવી છે. મને કહેવામાં આવ્યું છે કે તેઓ બુલડોઝર લઇને આવી જશે. હાઇકોર્ટના જજે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ વડોદરા કોર્પોરેશન પાસે ખુલાસો માંગ્યો છે. ભાજપના કોર્પોરેટરે આ પ્લોટ પાછો લઈ લેવાની રજૂઆત કરી હતી, પરંતુ ભાજપે પાલિકાની સામાન્ય સભામાં આ અંગે સર્વાનુમતે દરખાસ્ત મંજૂર કરી દીધી. એક સમયે ભાજપ પ્લોટ આપવા તૈયાર હતો. પરંતુ હવે પઠાણ ટીએમસીના સાંસદ છે તેથી ભાજપને વાંધો પડ્યો છે.
અજિત ગઢવી
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો