Please enable javascript.આ એક્ઝિટ પોલ નહીં, મોદી મીડિયા પોલ છેઃ રાહુલ ગાંધીએ પોલને માનવાનો ઈનકાર કર્યો - this is not exit poll but modi media poll says rahul gandhi - Iam Gujarat

આ એક્ઝિટ પોલ નહીં, મોદી મીડિયા પોલ છેઃ રાહુલ ગાંધીએ પોલને માનવાનો ઈનકાર કર્યો

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 2 Jun 2024, 3:23 pm
Subscribe

તમામ એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે રાહુલ ગાંધીએ આ પોલને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. પત્રકારોને રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ મોદી મીડિયા પોલ છે અને આ મોદીજીનો મત છે. તેમણે દાવો કર્યો હતો કે ઈન્ડિયા ગઠબંધનને આ વખતે 295 બેઠકો મળશે. આ દરમિયાન જયરામ રમેશને લઈને વિવાદ થયો છે.

હાઈલાઈટ્સ:

  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ એક્ઝિટ પોલને સ્વીકારવાનો ઈનકાર કર્યો
  • તેમણે કહ્યું કે "આ એક્ઝિટ પોલ નથી, પરંતુ મોદી મીડિયા પોલ છે."
  • તેમણે દાવો હતો કર્યો કે ઈન્ડિયા ગઠબંધનને 295 બેઠકો મળશે.
rahul gandhi (2)
એક્ઝિટ પોલના તારણોથી રાહુલ ગાંધી સહમત નથી
લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી એક્ઝિટ પોલ પણ આવી ગયા છે અને લગભગ તમામ એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળશે તેવી આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ એક્ઝિટ પોલને સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું કે "આ એક્ઝિટ પોલ નથી, પરંતુ મોદી મીડિયા પોલ છે." તેમણે દાવો કર્યો કે ઈન્ડિયા ગઠબંધનને 295 બેઠકો મળશે.
તેમને જ્યારે પોલના તારણો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે "આ મોદી મીડિયા પોલ છે, આ મોદીજીનો મત છે. આ તેમનું કાલ્પનિક મતદાન છે." રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે ઈન્ડિયા ગઠબંધનને કેટલી બેઠકો મળશે, ત્યારે તેમણે કહ્યું કે "તમે સિદ્ધુ મુસેવાલાનું ગીત સાંભળ્યું છે...અમને 295 બેઠકો મળી રહી છે." સિદ્ધુ મુસેવાલાના એક ગીતનું ટાઈટલ પણ 295 હતું.

આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના ઉમેદવારો સાથે એક વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. તેમાં તેમણે આગળની વ્યૂહરચના વિશે વાત કરી હતી. તેમણે સૂચના આપી કે મતગણતરી થાય ત્યારે આપણે ખાસ સાવચેતી રાખવાની છે. ઉમેદવારો સાથેની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ એક્ઝિટ પોલ તમને નિરાશ કરવા માટે છે. ઘણી બેઠકો પર બહુ નજીકના ટક્કર થઈ છે. તેથી છેલ્લા મતની ગણતરી થાય ત્યાં સુધી આપણે અડગ રહેવું જોઈએ.

આ દરમિયાન જયરામ રમેશે તાજેતરમાં કરેલી એક ટિપ્પણીના કારણે વિવાદ થયો છે અને ચૂંટણી પંચે તેમને લેખિત જવાબ આપવા કહ્યું છે. જયરામ રમેશે ટિપ્પણી કરી હતી કે ગૃહમંત્રી અમિત શાહે મતગણતરીના થોડા દિવસો અગાઉ 150 જિલ્લા મેજિસ્ટ્રેટને બોલાવ્યા હતા. જયરામ રમેશ એમ કહેવા માગતા હતા કે જિલ્લા મેજિસ્ટ્રેટ પર સરકારનું દબાણ છે. ચૂંટણી પંચે આ વાતને ગંભીરતાથી લીધી છે અને જયરામ રમેશને લખેલા પત્રમાં જણાવ્યું કે કોઈ પણ ડીએમ પર કોઈ અનિચ્છનીય પ્રેશર કરવામાં આવ્યું ન હતું.

ચૂંટણી પંચે જણાવ્યું કે તમે આટલા બધા અનુભવી અને સિનિયર નેતા છો. તમે મત ગણતરીના થોડા દિવસો અગાઉ આવું સ્ટેટમેન્ટ આપ્યું છે ત્યારે તમને આ વાતની ખબર કેવી રીતે પડી અને તમારી પાસે આવી માહિતી ક્યાંથી આવી તેની વિગત આપવા વિનંતી કરવામાં આવે છે.

જયરામ રમેશે શનિવારે દાવો કર્યો હતો કે અમિત શાહે 150 ડીએમ અથવા કલેક્ટર સાથે વાત કરી હતી. આ એક સીધેસીધી ધમકી છે. તે દર્શાવે છે કે ભાજપ અત્યારે કેટલો હતાશ થઈ ગયો છે. ચોથી જૂને જનતાના મતનો જ વિજય થશે અને મોદી, શાહ અને ભાજપની વિદાય થશે.
અજિત ગઢવી
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો