Please enable javascript.વર્લ્ડકપમાં અહંકારના કારણે મારો ખેલ બગડ્યોઃ મોદી સમક્ષ વિરાટની કબૂલાત - arrogance speaking virat kohli confess with narendra modi - Iam Gujarat

વર્લ્ડકપમાં અહંકારના કારણે મારો ખેલ બગડ્યોઃ મોદી સમક્ષ વિરાટની કબૂલાત

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 7 Jul 2024, 3:41 pm
Subscribe

Virat Kohli on Arrogance: ​​ વિરાટ કોહલીના ફોર્મની તાજેતરમાં ઘણી ચર્ચા થઈ છે ત્યારે કોહલીએ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે અહંકારના કારણે રમતને અસર થાય છે. ફાઈનલમાં ઉતરતા પહેલા તેનો આત્મવિશ્વાસ ડગી ગયો હતો પરંતુ રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે તેને જુસ્સો આપ્યો અને તેના કારણે તે સારી રમત રમી શક્યો.

હાઈલાઈટ્સ:

  • ટી-20 વર્લ્ડકપમાં ભારત જીતતું જતું હતું પરંતુ કોહલી સતત નિષ્ફળ રહ્યો
  • ફાઈનલ મેચમાં કોહલીએ પોતાનું ફોર્મ પાછું મેળવ્યું અને શાનદાર બેટિંગ કરી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતમાં કોહલીએ સાચી સ્થિતિ વર્ણવી
virat kohli meet modi
વિરાટ કોહલીએ સ્વીકાર કર્યો કે અહંકાર આવી જાય ત્યારે રમતને અસર થાય છે
Virat Kohli on Arrogance: ભારત તાજેતરમાં અમેરિકામાં યોજાયેલો ટી-20 વર્લ્ડકપ જીતી ગયો, પરંતુ ભારતના સૌથી ટેલેન્ટેડ બેટ્સમેન વિરાટ કોહલીના ખરાબ દેખાવે ઘણા સવાલ પેદા કર્યા હતા. વર્લ્ડ કપની ફાઈનલને બાદ કરતા બાકીની તમામ મેચમાં વિરાટ નિષ્ફળ ગયો હતો અને માત્ર 75 રન બનાવ્યા હતા. હવે વિરાટ કોહલીએ કબૂલાત કરી છે કે તેના અહંકારના કારણે તેની રમતને અસર થઈ હતી. વિરાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ વાતનો એકરાર કર્યો છે.
ટી-20 વર્લ્ડકપમાં ભારત જીતતું જતું હતું પરંતુ કોહલી સતત નિષ્ફળ રહેવાના કારણે ક્રિકેટ ચાહકો ચિંતિત હતા. ફાઈનલને જીતાડવામાં કોહલીએ મદદ કરી પરંતુ અગાઉની તમામ ગેમમાં કોહલીનું પ્રદર્શન નિરાશાજનક હતું. હવે મોદી સાથેની વાતચીતમાં કોહલીએ જણાવ્યું છે કે ફાઈનલ અગાઉ તેનો આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો. પરંતુ કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે તેને ઐતિહાસિક મેચ રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ભારતીય ટીમ વર્લ્ડકપ જીતીને સ્વદેશ પરત આવી ત્યારે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ મુલાકાત લીધી હતી. મોદીએ ટી20 વર્લ્ડ કપના અનુભવો વિશે ટીમના ખેલાડીઓ પાસેથી માહિતી મેળવી હતી. કોહલીએ કેટલીક મહત્ત્વની વાત કરી હતી. તેણે કહ્યું કે મેં દ્રવિડને કહ્યું કે ટૂર્નામેન્ટમાં ટીમ માટે સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. દ્રવિડે તેને જવાબ આપ્યો કે અહંકાર તમારી ગેમને નુકસાન પહોંચાડે છે. ગમે તેટલા પ્રયાસ કરવા છતાં સફળતા મળતી ન હતી. દ્રવિડે કહ્યું કે તમને જ્યારે લાગે કે તમે આમ કરી શકો છો, ત્યારે તમારો અહંકાર બોલે છે. તમે અહંકારમાં રમતથી દૂર થઈ જાવ છો. ક્યારેક ક્યારેક અહંકાર છોડવો મહત્ત્વપૂર્ણ હોય છે. ફાઈનલમાં અહંકારનું કોઈ સ્થાન નથી.

તેણે કહ્યું કે મેં જ્યારે રમતને સન્માન આપવાનું શરૂ કર્યું ત્યારે ટીમને ફાયદો થયો છે. આ બહુ મોટો પાઠ ભણવા મળ્યો છે.

વિરાટ કોહલીએ 2024ની આઈપીએલમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. પરંતુ ટી-20 વર્લ્ડકપમાં તેની રમત જાણે સાવ ફિક્કી પડી ગઈ હતી અને તે ક્રિઝ પર ટકી જ શકતો ન હતો. ટી-20ની ફાઈનલ અગાઉની સાત મેચમાં વિરાટે માત્ર 75 રન બનાવ્યા હતા. આમ છતાં કોચ અને કેપ્ટને તેના પર પૂરો ભરોસો રાખ્યો હતો. રોહિત શર્માને પણ જ્યારે વિરાટના ફોર્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે વિરાટ મોટી મેચનો પ્લેયર છે. આ વાત સાચી સાબિત થઈ અને ફાઈનલમાં કોહલી શાનદાર ગેમ રમ્યો હતો જેમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને જીત મેળવી હતી.
અજિત ગઢવી
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો